ગ્રામ્ય વિસ્તારની ૨૪ બહેનો તાલીમબધ્ધ થઇ બેન્ક સખી બનશે...
લોકોને રોજગારી મળી રહે તે માટે એસબીઆઇ આરસેટી તથા ડીઆરડીએના સંયુક્ત ઉપક્રમે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જૂનાગઢ બિલખા રોડ પરના એસબીઆઇ આરસેટી ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે.
એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે ૬ દિવસીય બીસી(બિઝનેશ કોર્ષ પોન્ડન્ટ) સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાની ૨૪ બહેનોએ તાલીમ મેળવી હતી. તા. ૫ ઓક્ટોબરના તાલીમ પૂર્ણ થતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગામના મહિલા સરપંચથી લઇને વિદ્યાર્થીનીઓ પણ જોડાઇ હતી.
તાલીમનું પ્રમાણ પત્ર મેળવ્યા બાદ હવે તે તેમના જિલ્લાની નજીકની અલગ-અલગ બેન્ક બ્રાન્ચમાં આપશે. આથી તેમને સખી મંડળને લગતા બેન્કીંગ કામ માટે રોજગારી મળી જશે. આ તાલીમ એસબીઆઇ આરસેટી અને ડીઆરડીએ દ્વારા વિના મુલ્યે આપવામાં આવે છે. જેમાં રહેવા, જમવા સહિતની તમામ સુવિધા વિના મુલ્યે આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ લીડ બેન્કના મેનેજર મનોહર વાઘવાણી, ગીર સોમનાથ લીડ બેન્કના મેનેજર અશોક વ્યાસ, ટ્રેનર હેમેન્દ્રભાઇ પુરોહિત, આરસેટીના ડાયરેક્ટર વિજયસિંહ આર્યા, ફેકલ્ટી દર્શન સુત્રેજા અને અજીત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.