ભારતમાં નવા વર્ષના દિવસે 60,000 બાળકોનો જન્મ થયોઃ યુનિસેફ.
દુનિયામાં નવા વર્ષના દિવસે ૩,૭૧,૫૦૪ બાળકો જન્મ્યાં હતાં, એમાંથી સૌથી વધુ બાળકોનો જન્મ ભારતમાં થયો હતો. ભારતમાં ૬૦,૦૦૦ બાળકોનો જન્મ નવા વર્ષે થયો હતો. ૩૫,૬૧૫ બાળકોના જન્મ સાથે ચીન બીજા ક્રમે રહ્યું હતું. યુનિસેફના અહેવાલમાં આ દાવો થયો હતો.
ભારતમાં નવા વર્ષના દિવસે ૬૦,૦૦૦ બાળકોનો જન્મ થયો હતો. ૨૦૨૦ના પ્રથમ દિવસે ૬૭,૩૯૦ બાળકો જન્મ્યા હતાં. તેની સરખામણીમાં આ વર્ષે સાત હજાર બાળકો ઓછાં જન્મ્યા હતા. વિશ્વમાં કુલ ૩,૭૧,૫૦૪ બાળકો નવા વર્ષના દિવસે જન્મ્યાં હતાં, એમાંથી ૫૨ ટકા બાળકો માત્ર ૧૦ દેશોમાં જન્મ્યાં હતાં. જેમાં ભારત-ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે એવું યુનિસેફના અહેવાલમાં કહેવાયું હતું.
૨૦૨૧ના વર્ષમાં દુનિયામાં ૧૪ કરોડ બાળકોનો જન્મ થશે. સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ થયો હોવાથી આ બાળકો સરેરાશ ૮૪ વર્ષનું આયુષ્ય લઈને જન્મશે એવું પણ યુનિસેફના અહેવાલમાં કહેવાયું હતું. ૨૦૨૧ના વર્ષમાં ભારતમાં ૨.૧૬થી ૨.૨૦ કરોડ જેટલાં બાળકો જન્મશે.
જોકે, યુનિસેફે અત્યારની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુનિસેફના ડિરેક્ટર હેનરિટ્ટા ફોરે જણાવ્યું હતું કે મહામારીના આ દિવસોમાં જન્મેલા ઘણાં બાળકોને ગરીબી, આર્થિક કટોકટી, જેવી બાબતોનો સામનો કરવો પડી શકે છે. તે માટે યુનિસેફ સામે અગાઉ ક્યારેય ન હતો એટલો પડકાર સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે યુનિસેફ તેમની સ્થાપનાનું ૭૫મું વર્ષ ઉજવી રહ્યું છે. યુનિસેફની સ્થાપના ૧૧મી ડિસેમ્બર, ૧૯૪૬માં થઈ હતી.