રથયાત્રા પર મહંત દિલીપદાસજીના નિવેદન બાદ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહનું નિવેદન, અમારા માટે મહંત દિલીપદાસજી પૂજનીય છે.
અમદાવાદની 143મી રથયાત્રાના આયોજનની નિષ્ફળતાને લઇ મંદિરના મહંત દ્વારા આપવામાં આવેલા નિવદેન પર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં રથયાત્રાના આયોજન બાબતે સરકારે તમામ પ્રયાસો કર્યા હતા. સુપ્રીમ કોર્ટમાં ઓરિસ્સામાં યોજાનાર રથયાત્રાને સ્થગિત કરવામાં આવી હતી અને ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિને કારણે કેટલાક લોકો દ્વારા યાત્રા રોકવા અરજી થઈ હતી. જેને કોર્ટે મંજૂર રાખી યાત્રા રોકી હતી.
પુરી યાત્રામાં શરતોને આધીન યાત્રા કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતા ગુજરાત હાઇકોર્ટમાં યાત્રા યોજવા માટે અરજી કરવામાં આવી હતી અને ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ કરી રાજ્યના એડવોકેટ જનરલ દ્વારા યાત્રાને મંજૂરી મળે તે માટે મોડી રાત સુધી દલીલ ઓન કરવામાં આવી હતી. જો કે, કોરોના વાયરસની મહામારીના કારણે અમદાવાદ અને ઓરિસ્સાની સ્થિતિ અલગ હતી માટે કોર્ટે અમદાવાદમાં યાત્રા બાબતે મંજૂરી આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે મહંત દિલીપદાસજીની નારાજગી બાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા યાત્રા યોજવા બાબતે કરવામાં આવેલા તમામ પ્રયત્નો બાબતે અવગત કર્યા હતા. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ અમદાવાદમાં યાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિર મહંત અને ટ્રસ્ટને આશ્વાસન આપ્યું હતું કે, જો ઓરિસ્સાને મંજૂરી મળશે તો ગુજરાત પણ હાઇકોર્ટમાં પુરા પ્રયત્ન કરશે.
વધુમાં પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, અમારા માટે મહંત દિલીપદાસજી પૂજનીય છે. હુ પોતે પણ મંદિર જાઉં છું ત્યારે ચરણ સ્પર્શ કરું છું. અમદાવાદમાં યાત્રા યોજાય તે બાબતે અમે કોર્ટમાં પણ રજૂઆત કરી હતી કે સવાર 10 થી 11 દરમિયાન માત્ર 1 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરી દેવામાં આવશે. યાત્રાના સ્થળ પર સંપૂર્ણ કરફ્યુ લગાવી દેવામાં આવશે અને લોકો એકત્ર ન થયા તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની બાંહેધરી આપવામાં આવી હતી છતાં કોર્ટ દ્વારા મંજૂરી મળી ન હતી. જેના માટે મંદિર ટ્રસ્ટ સાથે મુખ્યમંત્રી અને મને ખુદને દુ:ખ થયું હતું.
ગુજરાત સરકાર તરફથી કોર્ટમાં મોડી રાત સુધી દલીલો કરવામાં આવી હતી. છતાં કોરોના વાયરસની મહામારીને જોતા મંજૂરી ન મળી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોર્ટને ટાંચીને કહ્યું હતું. સમગ્ર વિવાદને લઇ વિપક્ષ દ્વારા જંપલાવતા પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ વર્ષો સુધી માત્ર મતોનું તૃષ્ટીકરણ જ કર્યું છે. ગુજરાતમાં ભાજપની સરકાર 25 વર્ષથી કામ કરી રહી છે. જ્યારે કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે. કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને પંપાળવાનું જ કામ કર્યું છે. રામ મંદિર બનવા ન દીધું.
આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ટ્રંપની મુલાકાત સમયે ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ ન હતો.