લઘુમતીના સમાજના મસીહા મનાતા અખિલેશ યાદવએ હવે હિન્દુત્વની રાજનીતિ શરૂ કરી ?
દિલ્હીઃ કરોડો ભારતીયના આસ્થાનુ પ્રતિક સમા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર માટે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેનો સીધો લાભ આગામી વર્ષોમાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને થવાનું મનાઈ રહ્યું છે. ત્યારે અત્યાર સુધી મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ કરતા વિપક્ષો પણ હવે હિન્દુત્વ તરફ વળ્યાં હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોની મસિહા ગણાતી સમાજવાદી પાર્ટી એટલે સપાના વડા અખિલેશ યાદવે પોતાના પૈતૃક ગામ સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ સ્થાપના કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં બસપા સુપ્રીમોએ બ્રાહ્મણોના મત અંકે કરવા માટે ભગવાન શ્રી પરશુરામજીનું ભવ્ય મંદિર બનાવવાની જાહેરાત કરી છે. આમ હવે હિન્દુ મતદારોના મત અંકે કરીને સત્તા હાસલ કરવા માટે સપા અને બસપા ભગવાનના શરણે પહોંચ્યાં છે.
ગુજરાતમાં વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પ્રચારની જવાબદારી રાહુલ ગાંધીએ લીધી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારકા મંદિર સહિતના મંદિરોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. હવે હિન્દુત્વની દિશામાં સપાના નેતા અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતી આગળ વધી રહ્યાં છે. બસપાના સુપ્રીમો માયાવતીએ બ્રાહ્મણોના મત અંકે કરવા માટે અગાઉ ભગવાન પરશુરામજીનું મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે અખિલેશ યાદવે પણ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવવાનું વિચારી રહ્યાં છે. યાદવો એટલે યદુવંશના વારસો હોવાનું માનતા અખિલેશ યાદવે પોતાના પૈતૃક ગામ સૈફઈમાં ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ સ્થાપનો નિર્ણય કર્યો છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં યાદવોની સાથે હિન્દુ મતદારોને પણ આકર્ષી શકાય. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. જેમાં અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ ભગવાન શ્રી કૃષ્ણની વિરાટ મૂર્તિ નિહાળી રહ્યાં હોવાનું દ્રશ્ય જોવા મળે છે.