દેવામાં ડૂબેલા ઉધોગપતિ અનિલ અંબાણી એ કોર્ટને શું કહ્યું તે જાણો..
દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ શુક્રવારે લંડનની અદાલતમાં તેની સામે ચાલી રહેલા કેસમાં કોર્ટને જણાવ્યું હતું કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યા છે. વકીલોની ફી ચૂકવવા માટે તેમણે પોતાનાં ઘરેણાં વેચવા પડ્યાં છે. અનિલે કોર્ટને કહ્યું હતું કે મારી પાસે આવકનું કોઈ સાધન નથી અને હાલમાં મારી પત્ની અને પરિવાર મારું ગુજરાન કરી રહ્યાં છે.
ખર્ચને પહોચી વળવા માટે તે પોતાની સંપત્તિ વેચવા માગે છે અને કોર્ટ તેની મંજૂરી આપે તેની રાહ જોઈ રહ્યા છે. લંડનની કોર્ટમાં અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને જૂન 2020 વચ્ચે ઘરેણાં વેચીને તેમણે રૂ. 9.9 કરોડ મેળવ્યા છે અને હવે તેની પાસે કીમતી કહી શકાય તેવી કોઈ ચીજ નથી. જયારે કોર્ટે અનિલને લક્ઝરી ગાડીઓ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે મીડિયામાં આવતા આ બધા સમાચારો ખોટા છે, મારી પાસે ક્યારેય રોલ્સ-રોઈસ હતી જ નહિ.
અત્યારે મારી પાસે માત્ર એક જ કાર છે. પ્રાઈવેટ હેલિકોપ્ટર અંગે તેમણે કહ્યું હતું કે હું તેનો વ્યક્તિગત વપરાશ કરું છું ત્યારે જ તેના માટે ચુકવણી કરું છું. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, મારું ગુજરાન પત્ની અને પરિવાર કરે છે, ઘરેણાં વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યો છું..ઉલ્લેખનીય છે કે, ત્રણ ચાઇનીઝ બેન્કે અનિલ અંબાણી સામે UKની કોર્ટમાં કેસ કર્યો છે.