રાજ્યમાં કાયદા વ્યવષ્થાની કમાન આશિષ ભાટિયાના શિરે,ગૃહરાજ્ય મંત્રીએ કરી જાહેરાત...
રાજ્યમાં એકતરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા નો કાર્યકાળ પૂર્ણ થઇ ચુક્યો છે ત્યારે રાજ્યના નવા પોલીસવડા કોણ બનશે તેને લઈને અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે તે ચર્ચા પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. શિવાનંદ ઝા 31 માર્ચના રોજ નિવૃત થતા હતા પરંતુ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમને 3 મહીનાનું ઍક્સટેંશન આપવામાં આવ્યું હતું જે 31 જુલાઈના રોજ પૂર્ણ થાય છે ત્યારબાદ શિવાનંદ ઝાને હજી વધારે ઍક્સટેંશન આપવામાં આવે તેવી શક્યતાઓ નહિવત હતી.
અનેક અટકળોના અંત પછી હવે ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાના નામની જાહેરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી છે, આવતીકાલથી આશિષ ભાટિયા રાજ્યના નવા પોલીસવડા તરીકેનો ચાર્જ સંભળવાના છે. ઉલ્લેખનીય છે કે આશીષ ભાટિયા1985 બેચના આઈ.પી.એસ ઓફિસર છે અને તેઓ હમેંશા માટે વિવાદોથી દૂર રહેતા આવ્યા છે તેમજ સરકારની ગુડબુકમાં તેમનું નામ સામેલ છે.
આશિષ ભાટિયા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે ત્યારે હવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જેની આગામી દિવસોમાં જાહેરાત થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે તેના પર રાજ્યના ગૃહ મંત્રીએ અંતિમ મહોર મારી છે.