કોરોનાને કારણે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફટકો, જુલાઈ 2021 સુધી DA નહીં મળે...
કેન્દ્ર સરકારે એક મેમોરેન્ડમ જાહેર કરીને જણાવ્યું હતું કે, 1 જુલાઈ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી અધિક ડીએ અને ડીઆર પણ ચુકવવામાં નહીં આવે. જો કે વર્તમાન દર મુજબ ડીએ અને ડીઆર ચુકવવાનું ચાલુ રખાશે. કોરોના સંકટને પગલે જુલાઈ 2021 સુધી કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો નહીં કરાય તેવો નિર્ણય કેન્દ્રે લીધો છે.
દેશમાં કોરોના મહામારીના સંકેટને પગલે અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે ત્યારે નાણાં મંત્રાલયે ગુરુવારે મહત્વની જાહેરાત કરતા કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સના મોંઘવારી ભથ્થા જુલાઈ 2021 સુધી નહીં વધારવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ 61 લાખ પેન્શનર્સને કોરોના સંકટમાં ભથ્થા નહીં મળે.
સૂત્રોના મતે કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સના ડીએ અને ડીઆરને સ્થગિત રાખવામાં આવતા કેન્દ્રને નાણાકીય વર્ષ 2021-22માં કુલ 37,350 કરોડની બચત થશે. મોટાભાગે ડીએ અને ડીઆરના કેન્દ્રના આદેશોનું રાજ્યો પણ પાલન કરતા હોય છે. જો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ આનું પાલન કરવામાં આવે છે તો કુલ રૂ. 82,566 કરોડની બચત થવાની સંભાવના છે.
કેન્દ્રીય નાણા મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં છેલ્લે ચાર ટકાનો જે વધારો કરવામાં આવ્યો હતો તે હાલ પુરતો સ્થગિત રાખવામાં આવ્યો છે.