ESG નું અનુપાલન કરતી કંપનીઓને ફાયદો થશે.
કોવિડ-૧૯ એ દર્શાવી દીધું છે કે વૈશ્વિક અર્થતંત્ર તરીકે આપણે કેટલી હદે એકબીજા પર નિર્ભર છીએ. સરકારની નીતિઓ, કંપનીઓની કામગીરી વખતે હવે એન્વાયર્નમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (ESG) માપદંડ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બની ગયું છે. રોગચાળાના સમયમાં ESG નું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. અમુક સંકેતોએ દર્શાવ્યું છે કે ESG નું અનુપાલન કરતી કંપનીઓને આ ફેરફારથી કઇ રીતે ફાયદો પ્રાપ્ત કરશે.
તાજેતરમાં વૈશ્વિક થિંક ટેન્ક્સ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત થયો છે. તેમાં જણાવાયું છે કે ભારત ''૨ંભ અનુપાલન'' કરતો એકમાત્ર દેશ છે અને જી૨૦ માં ફક્ત ભારત જ એવો દેશ છે જે પેરિસ સંધિનું પાલન કરવાના માર્ગ પર છે. (પેરિસ સંધિ મુજબ ચાલુ સદીમાં તાપમાનનો વધારો પ્રિ-ઇન્ડસ્ટ્રીયલ સ્તરની ઉપર ૨ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવામાં આવશે તથા આગળ જતા તાપમાનનો વધારો ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાની યોજના છે.)
તાજેતરમાં વર્ચ્યુઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડટેબલ ૨૦૨૦ ખાતે ભારત સરકારે ESG તરફ પોતાની પ્રતિબદ્ધતા અંગે સ્પષ્ટ અને મજબૂત સંકેત આપ્યો હતો. આ રાઉન્ડટેબલમાં સમગ્ર વિશ્વના ટોચના ૨૦ સંસ્થાકીય રોકાણકારોના વડાએ પણ હાજરી આપી હતી. જે કંપનીઓ પહેલેથી અનુપાલન કરે છે અને ESG ક્ષેત્રે ઊંચો સ્કોર ધરાવે છે, તેમને વધારે ફાયદો થશે.
ESG માં રોકાણની વાત આવે ત્યારે અમેરિકા અત્યાર સુધી યુરોપથી ઘણું પાછળ રહ્યું છે. મોર્નિંગસ્ટારના અહેવાલ પ્રમાણે ESG ની કુલ વૈશ્વિક એસેટ્સમાં ત્રીજા ક્વાર્ટર દરમિયાન એકલા યુરોપીયન ફંડ્સ ૮૨ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે અમેરિકન ફંડ્સનો હિસ્સો ૧૪ ટકા હતો. અમેરિકામાં નવું વહીવટીતંત્ર સત્તા પર આવી રહ્યું છે ત્યારે ક્લાઇમેટ ચેન્જ (જળવાયુ પરિવર્તન) પર તેના ફોકસ તથા આ અંગેની નીતિઓ લાગુ કરવાની યોજનાના કારણે ભારતને આ દિશામાં અમેરિકા સાથે સહયોગ વધારવામાં ફાયદો મળશે.
નવા વહીવટીતંત્રે પહેલેથી જણાવી દીધું છે કે તે સત્તા પર આવશે ત્યારે પેરિસ ક્લાઇમેટ સંધિમાં ફરીથી જોડાશે. કાર્બનયુક્ત વીજળીનું ઉત્પાદન, સ્વચ્છ ઉર્જામાં નાવીન્યતા લાવવી, શૂન્ય ઉત્સર્જન કરે તેવી જાહેર પરિવહન વ્યવસ્થા, વિદ્યુત સંચાલિત વાહનોનો ઉપયોગ, સહિતની યોજનાઓ છે. આ યોજનાઓથી એવી ઘણી કંપનીઓને ફાયદો થશે જે ESG ક્ષેત્ર સાથે સંલગ્ન છે.
મોટા રોકાણકારો ખાસ કરીને અમેરિકા અને યુરોપ હાલમાં ESG ધોરણોનું પાલન કરતી કંપનીઓમાં સતત રોકાણ વધારી રહ્યા છે તેમ જણાવતા આદિત્ય બિરલા સનલાઇફ એએમસીના એ. બાલાસુબ્રમણિયમે ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે પાંચ મુખ્ય બજારોમાં ટકાઉ ઈન્વેસ્ટિંગ એસેટ્સનું મૂલ્ય ૨૦૧૮માં વધીને ૩૦.૭ ટ્રિલિયન ડોલર થયું હતું. તેનું કારણ એ છે કે રોકાણકારો જાણે છે કે કંપનીમાં રોકાણ કરતી વખતે માત્ર શુધ્ધ નાણાકીય જોખમો નહીં પરંતુ ESG ના પરિબળોનું જોખમ પણ રહે છે. ભારત માટે આવું રોકાણ આકર્ષવા અને દેશમાં એફડીઆઇનો હિસ્સો વધારવા માટે સરકારી નીતિમાં ESG માપદંડ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેનાથી રોજગારીમાં ભારે વધારો થશે.