અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સાબરમતી તથા નર્મદાના સંગમ પર આવેલું દિવ્ય શિવાલય : ગોબરેશ્વર મહાદેવ
આપણા શાસ્ત્રોમાં આપણા વેદોમાં ઋષિમુનિઓ દ્વારા એવું વર્ણન કરવામાં આવ્યું છે કે,
|| યથા પિંડે તથા બ્રહ્માંડે ||
મનુષ્ય પોતાનામાં જ બ્રહ્મ છે એ પોતાનામાંજ એક એવી આંતરિક શક્તિ ઉત્પન્ન કરી શકે છે કે જેની સામે આખી દુનિયા નતમસ્તક થાય. પરંતુ એ શક્તિ જાગ્રત કરવા મનુષ્ય એ પોતાનું બહિર્મુખ રૂપ છોડીને તેના આંતરિક મંથન કરવું જોઈએ. પોતાની આંતરિક શક્તિઓને ઓળખવી જોઈએ, જેના માટે કોઈ શાંત સ્થળ પસંદ કરી ઈશ્વરમય બની જવું જોઈએ, એક એવું સ્થળ કે જ્યાં પક્ષીઓના કલરવ સિવાય કોઈ ન હોય એવું એક સ્થળ જ્યાં તન-મન પોતાની આંતરિક શક્તિઓ વિકસાવી શકે.
જી હા વાચક મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ એક એવી જગ્યાએ કે જ્યાં તનની સાધના અને મનની આરાધના બધું સાર્થક થઇ છે, આજે આપણે આવ્યા છીએ ગાંધીનગરમાં પવિત્ર નર્મદા અને સાબરમતીના સંગમ સ્થાન પર કે જ્યાં આવતાની સાથે જ એક નીરવ શાંતિનો અનુભવ થાય છે. આ એવું સ્થળ છે કે જ્યાં સાક્ષાત ઈશ્વર જંગલ ઝાડ નદી ઝરણાં પક્ષીઓ અને એક દિવ્ય શાંતિ સ્વરૂપે બિરાજમાન છે.
આપણે આવી પહોંચ્યા છીએ શ્રી ગોબરેશ્વર મહાદેવના સાનિધ્યમાં.. આ ભૂમિ પર પગ મૂકતાંની સાથે જ મન એ ઝરણાઓ સાથે વહેવા લાગે છે, મન પરમ શાંતિનો અનુભવ કરે છે. મન શહેરની ભાગદોડ ને કહેવા જઈએ તો ગણતરીની ક્ષણોમાં જ ભૂલી જાય છે. અને મહાદેવ મહાદેવ નું ઉચ્ચારણ કરવા લાગે છે, આ સ્થળ પર મળેલી દિવ્ય શાંતિ ના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી બસ અનુભવી શકાય છે. કહેવા જઈએ તો આ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણને અહીં આવવાનું પુણ્ય પ્રાપ્ત થયું છે.
આ ભૂમિ, આ મંદિર, આ સાનિધ્ય, અને આ સ્થાપત્ય, પાછળનો પણ એક ઇતિહાસ અને અનેકાનેક પરચાઓ તથા ચમત્કારો છે. તો આવો જાણીએ એ ઇતિહાસ વિશે.
આજથી લગભગ સાડા ચારસો વર્ષ પૂર્વે એટલે કે વિક્રમ સંવત 1611 ની આસપાસ ના સમયે આ જ આ જગ્યા પર શિવજીનું એક પ્રાચીન મંદિર હતું. તે સમયે સાબરમતી નદીમાં પૂર આવવાને કારણે મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું સાથે સાથે અહીં આવેલું એક ગામ પણ પાણીમાં ડૂબી ગયું. પરંતુ ત્યારબાદ ચિલોડા ગામ ફરીથી વસ્યું અને આજે એ ગામ નાના ચિલોડા નામે ઓળખાય છે. ત્યાર પછી આ ભૂમિ પર મામા ગોબરા મહારાજ નામે એક સિદ્ધ પુરુષ થઈ ગયા જેઓ પ્રખર શિવભક્ત હતા, જેવો એ શિવનું તપ કર્યું હતું. જેમનું જે-તે સમય દરમ્યાન થયેલા યુદ્ધના દેહ ત્યાગ થયો હતો તેમનું નાનું એવું દેવળ ભૂમિ પર બનાવવામાં આવ્યુ હતું,
તે પછી કેટલાક સમય પસાર થયા બાદ તેઓએ લોકોને ઘણી પરચાઓ પણ આપ્યા છે એમાં પણ એક પરચો ઘણો રસપ્રદ છે.
એક લોકવાયકા મુજબ નજીકમાં જ આવેલા ગામના એક ગૌ પાલકની ગાય આ આશ્રમની ભૂમિ પર ચરવા આવતી, અને અને ગોબરા મહારાજ નાગ સ્વરુપે તેના પગમાં વીંટળાઈને ગાયનું દૂધ પીધા. આવા અનેક ચમત્કારો અને લોકવાયકાઓ હજું પણ આ તપોભૂમિની ચોતરફ વિખ્યાત છે,
આ તપોભૂમિનાં મહંતશ્રી દિવ્યાનંદજી મહારાજને સન.૧૯૯૮ ની સાલમાં મામા ગોબરા મહારાજનો શાક્ષાતકાર થયો અને એ દેવપુરુષ અહીં દિવ્યાનંદ બાપજીને લઇ આવ્યા, અને મામા ગોબરા મહારાજે દિવ્ય આનંદ બાપુજીને આ ભૂમિ વિશેની દંતકથા કહી સંભળાવી અને દિવ્યાનંદજી સ્વામિને આ જગ્યાપર શિવાલય નિર્માણ કરવાની પ્રેરણા આપી, પરંતુ સંસાધનોનો ખુબજ અભાવ હોવાના કારણે સંત શ્રી દિવ્યાનંદજી મહારાજે અંદાજે પાંચથી સાત વર્ષ ખુબ કષ્ટ વેઠી આ નિર્જન જગ્યામાં આશ્રમ સ્થાપ્યો, સાલ 2009માં ગોબરેશ્વર મહાદેવમંદિર અને નિજ આશ્રમનું નિર્માણ કાર્ય શરુ થયું, અને સાલ 2012માં તા 29/10 ના રોજ શરદ પૂર્ણિમાના દિવસે સંપુર્ણ કાર્ય પુર્ણ થયું અને સાથે સાંઈનાથ ભગવાન શ્રી ગોબરા મહારાજ અને ગોબરેશ્વર મહાદેવ મંદીરનું કાર્ય પુર્ણ થયું,અને હા આજે પણ મામા ગોબરા મહારાજ અનેક ભક્તોને નાગ સ્વરુપે દર્શન પણ આપે છે.
આ ઉપરાંત અહીં મહા શિવરાત્રી, ગુરુપૂર્ણિમા, નાગપંચમી, હનુમાન જયંતી તથા શ્રાવણ માસ જેવા તહેવારો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
તો આ હતો શ્રી ગોબરેશ્વર મહાદેવનો ઈતિહાસ, આજે પણ શ્રદ્ધાળુઓ મહાદેવ પાસે પોતાની મનોકામના લઈ દર્શને આવે છે અને તેમની મનોકામનાઓ અહીં પૂર્ણ પણ થાય છે.
તો આપ પણ આપના શ્રદ્ધાનાં દિપક લઈ આ પરમ ધામ તપોભુમી ગોબરેશ્વર મહાદેવ શ્રી ઓમ ગુરુ સેવા આશ્રમ પર આવો અને તન તથા મનની શાંતિ ને પ્રાપ્ત કરો, ફરી મળીશું એક નવિ જગ્યા અને તેના ઉજળા ઈતિહાસ સાથે, ત્યાં સુધી મારી કલમથી આપને નમસ્કાર