બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તો શું ગુજરાતને પણ મળશે મફલરધારી મુખ્યમંત્રી ? જાણો વધુ

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ શરુ થયેલું, જેમાં જમીનથી જોડાયેલા કાર્યકરોથી લઈને ટોચની નેતાગીરી સુધી માળખામાં ફેરફારો થઇ રહ્યા હતા, ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પદની પણ તેમાં ચર્ચા થઇ રહી હતી. નવેમ્બર, ડીસેમ્બર બાદ જાન્યુઆરી પણ ગયો અને ફેબ્રુઆરી માસ પણ અડધો પૂરો થયો પરંતુ હજુ ભાજપના સંગઠનનું કોકડું હજુ ઉકેલાયું નથી.



ગુજરાતમાં ભાજપ શૂન્યવકાશમાં ચાલી રહી હોય તેવી પરિસ્થિતિ થઇ ગઈ છે, મોટા મહારથીઓ મેદાનમાં ઉતરવા છતાં પેટા ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો, તો જનમાનસ પર અસર ઉભી કરી શકે એવા ગુજરાત ભાજપમાં નેતાઓ કેટલા એ પણ એક પ્રશ્નનો કોઈ જવાબ નથી મળી શકે એમ.

ત્યારે ગુજરાતમાં ફરીથી આંદોલનો શરુ થયા છે. ગાંધીનગરમાં છેલ્લા ૬૫ દિવસથી અનામત વર્ગની મહિલા ઉમેદવારોને એલ.આર.ડી. ભરતીમાં અન્યાય થયો હોવાની લાગણી સાથે પરિપત્ર રદ્દ કરવાની માંગણી સાથે એસસી, એસટી અને ઓબીસી વર્ગ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો એ પરિપત્રને જ લાગુ કરવા માટે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ આંદોલન કરી રહી છે.



આ ઉપરાંત સૌરાષ્ટ્રના આદિવાસી -માલધારી સમાજ દ્વારા પણ એલ.આર.ડી. ભરતીમાં અન્યાય સામે આંદોલન કરવામાં આવી રહ્યું છે, તો આદિવાસીઓ દ્વારા ખોટી રીતે એસ.ટી. અનામતના પરિપત્રો માલધારી સમાજના લોકોને સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે તેવા આરોપો સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આમ ગાંધીનગર અત્યારે આંદોલન અને ઉપવાસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

તો ગાંધીનગરની હાલની રાજકીય પરિસ્થિતિ જોઈએ તો છેલ્લા કેટલાય સમયથી કોઈ મંત્રી સોમથી ગુરુવાર સુધી હાજર નથી રહેતા, કોઈને પણ વહીવટી તંત્રમાં રસ ના હોય તેવું વાતાવરણ સર્જાયું છે. સૌને આનંદીબહેનની ખુરશી આંદોલનના કારણે ગઈ તેવા જ આંદોલનો આજે દિવસે ને દિવસે વેગ પકડી રહ્યા છે અને નવા રાજકીય સમીકરણો રચી રહ્યા છે.



હાલમાં સંગઠન અને સરકાર વચ્ચે ખાસ કોઈ મનમેળ જોવા નથી મળી રહ્યો, ખુદ ભાજપના જ ધારાસભ્યો, સાંસદો અને આગેવાનો ભાજપ સરકાર સામેના આંદોલનને ટેકો આપીને જાહેરમાં નિવેદનબાજી કરી રહ્યા છે તેવી પરિસ્થિતિમાં ભાજપમાં કોઈને રોકવાવાળું, કે નિયંત્રણ રાખી શકે તેવું કોઈ જોવા નથી મળી રહ્યું. આ પરિસ્થિતિમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે તેવી ચર્ચાઓ પણ શરુ થઇ ચુકી છે.

જો ગુજરાતના મુખ્યમંત્રી બદલવાનો પ્રયોગ ફરીથી કરવામાં આવે તો ભાજપે આ વખતે ઘણું ધ્યાન રાખીને સમજી -વિચારીને, આ પરિસ્થિતિ ફરી ઉભી ના થાય તેમ વિચારીને નિર્ણય લેવો પડે. આ પરિસ્થિતિમાં પ્રજામાં સારી છાપ ઉભી કરી શકે તેવા વ્યક્તિ તરીકે, રાજ્યસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી તરીકે બિન વિવાદાસ્પદ છબી ધરાવતા તથા સૌમ્ય સ્વભાવથી વિરોધીઓ સાથે પણ સુમેળ સાધી શકે તેવા મનસુખ માંડવીયાને મુખ્યમંત્રી બનાવી શકે છે.

મનસુખ માંડવીયા મૂળ ભાવનગર જિલ્લાના છે, આ ઉપરાંત પાટીદાર સમાજમાંથી આવે છે કે જેમના પ્રયત્નોને લીધે સુરતમાં ભાજપને ૨૦૧૭ માં નુકસાન ના થયું અને રાજ્યમાં ભાજપની સરકાર બની શકી. સકારાત્મક અભિગમથી કાર્ય કરતા મનસુખ માંડવીયાને કેન્દ્રીય મંત્રી તરીકેનો વહીવટી અનુભવ પણ છે તો તેઓ વર્ષોથી સંગઠનમાં પણ સક્રિય છે તેનો પણ અનુભવ છે. આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના અન્ય નેતાઓની સરખામણીએ તેમના વિરોધીઓ નહિવત છે જેથી તેમના નામ પર સહમતી સાધવી મુશ્કેલ નથી તો તેઓ હાઈકમાન્ડની ગુડબુકમાં પણ છે. ત્યારે હવે આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે અને ગુજરાતને પણ મફલરધારી મુખ્યમંત્રી બને છે કે કેમ તે જોવું રહ્યું.