મધ્યપ્રદેશ: બાલાઘાટમાં ટ્રેની પ્લેન ક્રેશ, ઓછામાં ઓછા એકનું મોત
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિર્નાપુર તાલુકાના ભક્કુટોલા જંગલમાં શનિવારે, 18 માર્ચે એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું.
પ્લેનમાં ટ્રેઇની પાઇલટ સહિત બે વ્યક્તિઓ સવાર હતા. એક સળગી ગયેલી લાશ પોલીસને મળી છે, બીજાની શોધખોળ ચાલુ છે.
પોલીસ અધિક્ષક સમીર સૌરભે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "બાલાઘાટ જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર લાંજી અને કિર્નાપુર વિસ્તારના પહાડોમાં એક વ્યક્તિની સળગેલી લાશ મળી આવી હતી."
તેમણે જણાવ્યું હતું કે લાશની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે જ્યારે ગુમ થયેલી મહિલા ટ્રેઇની પાઇલટની શોધ ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલ મુજબ, ટ્રેનર પ્લેન બાલાઘાટની સરહદે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બિરસી એરપોર્ટ પરથી ઉડ્યું હતું.