કેદી નંબર 259 એ હુન્નરથી ઉદયપુર સેન્ટ્રલ જેલની સકલ બદલી નાખી
આ છે ઉદયપુર સેન્ટ્રલ જેલ. અહીં સજા કાપી રહેલા 1,040 કેદી પૈકી એક છે કેદી નંબર 259. નામ છે સાધુરામ. તે મોટાભાગે હાથમાં પેઇન્ટ-બ્રશ સાથે જોવા મળે છે. તેની કળાએ જેલની તસવીર બદલી નાખી છે. એનડીપીએસ એક્ટના કેસમાં 12 વર્ષની કેદની સજા કાપી રહેલો સાધુરામ 5 વર્ષની સજા કાપી ચૂક્યો છે. દોઢ વર્ષ અગાઉ વ્યક્તિત્વ સુધાર-વિકાસ માટે જેલ તંત્રએ તેની રૂચિ પૂછી હતી. જવાબ મળ્યો- પેઇન્ટિંગ. જેલ તંત્રએ તેને એક ફોટો આપ્યો તો સાધુરામે જોતજોતાંમાં તેને દીવાલ ઉપર આબેહૂબ તૈયાર કરી દીધી. આ નાનકડી પરખ સાધુરામ માટે તેમ જ જેલ તંત્ર માટે પણ ટર્નિંગ પોઇન્ટ બની ગઇ. અત્યાર સુધીમાં સાધુરામ જેલની અડધીથી વધુ દીવાલો પર સંખ્યાબંધ પેઇન્ટિંગ્સ બનાવી ચૂક્યો છે. ક્યાંક દીવાલ તોડીને નીકળતા હાથીનું થ્રી-ડી પેઇન્ટિંગ છે તો ક્યાંક પૌરાણિક પાત્રો અને મહાપુરુષોને જીવંત કરાયા છે.
જરૂરી સામગ્રી જેલ તંત્ર, સમાજસેવકો પૂરી પાડે છે
સાધુરામે દોઢ વર્ષ અગાઉ જેલને સજાવવાનું શરૂ કર્યું હતું. આજે અહીં દરેક દીવાલ નવી કહાની કહે છે. ક્યાં કયું પેઇન્ટિંગ બનાવવું કે શું સંદેશ લખવો તે જેલ તંત્ર નક્કી કરે છે. જેલર માનસિંહ કહે છે- જેલને સુધારણા ગૃહ જેવો માહોલ આપવા વિચાર્યું હતું, જેથી કેદીઓમાં સ્વજનોથી દૂર એકલતાના કારણે આવતી નકારાત્મકતા ન રહે અને તેમની પ્રતિભા પણ સામે આવે. પેઇન્ટિંગ્સનું કામ માર્ચ, 2019થી ચાલુ છે. સામાન સમાજસેવકો આપે છે.