બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઉનાળાની ગરમીને ધ્યાને લઇ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય...

ઉનાળાની ગરમીને ધ્યાને લઇ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય 
સુજલામ-સુફલામ યોજના સાથે પાઇપલાઇનથી જોડાયેલા ઉત્તર ગુજરાતના ૫૫૦ તળાવોમાં તા.૨૦ મી મે થી નર્મદાના નીર અપાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે ગ્રામ્ય સ્તરે આગામી 20 મી મે થી નર્મદાના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ગ્રામ્ય સ્તરે પાણી મળી રહે તે માટે સિંચાઇ વિભાગની માંગણીના આધારે આગામી તા.20 મી મે થી નર્મદાના નીર દ્વારા આ તળાવો ભરાશે જેમાં ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુફલામ યોજનાની પાઇપલાઇન સાથે જોડાયેલા 550 તળાવો ભરવા માટે 10465 એમ.સી.એફ.ટી. પાણી છોડાશે અને આગામી સમયમાં પણ જેમ જરૂરીયાત ઉભી થશે એ મુજબ પણ પાણી આપવાનું અમારૂ આયોજન છે.

તેમણે ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગ્રામ્ય સ્તરે પાણી પહોંચે તે માટે સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પણ તા. 20 મી મે થી નર્મદાના નીર દ્વારા ભરવામાં આવશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી અંદાજે કુલ-27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, કચ્છમાં પણ ટપ્પર ડેમ દ્વારા નાગરિકોને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ત્યારે ટપ્પર ડેમમાં પણ જરૂરીયાત મુજબ જેટલા પાણીની જરૂર હશે એટલું પાણી નર્મદા નિગમ દ્વારા પુરૂ પાડવામાં આવશે.