‘આઈક્રિએટ’ના બે સંશોધકોએ હવામાંના વાયરસનો નાશ કરતું ‘સ્પેસ સેનિટાઈઝર’ વિક્સાવાયું...
માત્ર એક કલાક, અને તમારો ૧૨*૧૫ ફુટનો રૂમ વાયરસ રહિત............ માન્યામાં ન આવે એવી વાત છે પણ એ સત્ય છે કે માત્ર ૬૦ મિનિટમાં હવામાંના વાયરસને નાશ કરી શકાય છે. કોરોના વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે ત્યારે સ્પર્શથી તેમજ ‘ડ્રોપલેટ્સ’ અને હવામાંના પર્ટિકલ્સથી પણ ફેલાતા આ રોગથી બચવા સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાય તો કરાયા છે પરંતુ જો તમારી આસપાસનું વાતાવરણ જ વાયરસ કે જંતુમૂક્ત કરી શકાય તો કેવું...?
આના ઉપાયે icreate સંસ્થાના યુવા વૈજ્ઞાનિક શ્રી આશિષ કનૌજીયા, શ્રી નવનીત પાલ અને શ્રી અંકિત શર્માએ, પ્રોજેક્ટના ભાગરૂપે એક ઉપકરણ બનાવ્યું છે. આ ઉપકરણ દ્વારા ૧૨*૧૫ ફૂટનો રૂમ માત્ર એક કલાકમાં જ વાયરસ રહિત થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો ‘ડ્રોપલેટ્સ’ હવામાં તરતા હોય તો ચેપ લાગવાની માત્રા અત્યંત ઝડપી બની જાય છે. ત્યારે આ વૈજ્ઞાનિકોએ હવામાંના નકારાત્મક આયનોની મદદથી વાયરસને દૂર કરતું ઉપકરણ વિક્સાવ્યું છે.
આ ઉપકરણ એ બલ્બ હોલ્ડરમાં મુકીને સામાન્યમાં સામાન્ય માણસ પણ ઉપયોગમાં લઈ શક્શે. એટલું જ નહી પરંતુ લોકો રોજ-બ-રોજની જિંદગીમાં પણ તેનો સાહજિકતાથી ઉપયોગ કરી શક્શે. માત્ર એક કલાકમાં જ ૧૨*૧૫ ફૂટનો રૂમ જંતુરહિત થઈ શક્શે, અને આમાં માત્ર ૫ વોટ વીજળી વપરાશે. આ ઉપકરણ સમગ્ર પરિવારના સભ્યોને વાયરસના ચેપથી મૂક્ત રાખી શક્સે. ૨૪ કલાક ઉપકરણ વાપરી શકાશે અને તેની કોઈ આડઅસર નથી. તેને મેઈનટેનન્સ કે રીફીલ કરવાની જરૂર નથી.
આમ આ ઉપકરણ કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્વાધિક ઉપયોગી નીવડી શકે એમ છે. ઉપરાંત લોકડાઉન બાદ પણ આ ઉપકરણ રોજબરોજના જીવનમાં ઉપયોગી નીવડશે. icreateના સી.ઈ.ઓ અનુપમ જલોટેએ જણાવ્યું છે કે, ‘આ અમારા માટે એક ગર્વની વાત છે કે સમયની માંગને પારખીને icreateની ટીમે વસ્તુને જંતુમુક્ત કરતું એક અત્યાધુનિક ઉપકરણ વિકસાવ્યા બાદ હવામાંના વાયરસને નાશ કરી શકે તેવું ઉપકરણ વિક્સાવ્યું છે. આશિષ કનૌજીયા અને નવનીત પાલે કેર સાયન્સનો ઉપયોગ કરીને લોકોપયોગી આ ઉપકરણ બનાવ્યું છે. મારા મત પ્રમાણે આ એક ઉચ્ચ કક્ષાનું સંશોધન છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપેક્ષાઓને icreateના સ્ટાર્ટ-અપે પૂર્ણ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ અમને આ કામમાં ખૂબ જ સહકાર આપ્યો છે.
દેશના વડા પ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સહયોગથી ‘આઈક્રિએટ’ને ટેક-ઇનોવેશન આધારિત સ્ટાર્ટ-અપ્સ માટેની ભારતની સૌથી મોટી સંસ્થા બનવામાં મદદ મળી છે. હાલમાં, આઇક્રિએટ સંસ્થાએ ટૂંકા સમયગાળાવાળા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) અમદાવાદના દેવ ધોલેરા ખાતે ૪૦ એકરના પરિસરમાં કાર્યરત છે. રાજ્ય સરકારના હસ્તક icreate એક સ્વાયત્ત સંસ્થા છે ભારતમાં શરુ થતા સ્ટાર્ટઅપને ઉદ્યોગ સાહસમાં રૂપાંતરિત કરવામાં સહાયરૂપ બને છે.