કિડની ઈન્સ્ટીટ્યૂટે નવા ૪ ડાયાલિસિસ સેન્ટર શરુ કર્યા
૨૧ અત્યાધુનિક ડાયાલિસિસ મશીનથી સજ્જ
ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC) અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે ૨૧ અત્યાધુનિક મશીનથી સજ્જ છે.
ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરે ( IKDRC) એન્ડ સ્ટેજ રિનલ ડીસીસ (ઈએસઆરડી) દર્દીઓ માટે પોતાની સેવાનો વ્યાપ વિસ્તારતા આ ૪ ડાયાલિસિસ કેન્દ્ર શરુ કર્યા છે. આ કેન્દ્રો શરુ થવાથી જિલ્લાઓમાં ૫૦ લાખથી વધુ વસ્તી માટે ઈએસઆરડી દર્દીઓને લાસ્ટ માઈલ કનેક્ટીવીટી સાથે કિડની કેર પુરુ પાડવાનું શક્ય બનશે.
આ અંગે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર( IKDRC)ના નિયામક શ્રી વીનિત મિશ્રાએ જણાવ્યું : “ અમારો પ્રયાસ એ છે કે ડાયાલિસિસ સેવાને સરળતાથી સુલભ અને આરામદાયક બનાવવા માટે મુસાફરીનો સમય ઘટાડવા માટે ૩૦ કિલોમીટર અંતરની અંદર રાજ્યમાં દરેક ઈએસઆરડી દર્દી માટે ડાયાલિસિસ સેવાઓને સુલભ બનાવવામાં આવે.”
શ્રી મિશ્રાએ ઉમેર્યું હતું કે ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે એક ઈએસઆરડી દર્દીને ડાયાલિસિસ કરવામાં ૩ થી ૪ કલાક લાગે છે. જો કોઈ દર્દીને ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગે તો આખો દિવસ વેડફાય છે.”
ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ(જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં ૫૧ કેન્દ્ર ચાલે છે. જે ૫૦૦ ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં ૩ લાખથી વધુ ડાયાલિસિસ કરે છે.