મધ્યપ્રદેશના રાજકારણના સૌથી મહત્વના સમાચાર, કમલનાથ સરકારે ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામાની જાહેરાત કરી...
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પ્રૅસ કૉન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, "15 મહિનામાં અમે ખેડૂતો માટે ખૂબ કામ કર્યું છે. અમે ખેડૂતોના દેવા માફી માટે અનેક કામ કર્યા છે. રાજ્યમાં બીજેપીને 15 વર્ષ મળ્યા હતા. અમને ફક્ત 15 મહિના મળ્યાં છે. જેમાંથી અઢી મહિના લોકસભા ચૂંટણી અને આચાર સંહિતામાં પસાર થયા હતા. 15 મહિનામાં રાજ્યનો દરેક નાગરિક સાક્ષી છે કે મેં કેટલું કામ કર્યું છે. પરંતુ બીજેપીને અમારું આ કામ પસંદ પડ્યું ન હતું અને તેણે સતત અમારી વિરુદ્ધ કામ કર્યું હતું."
મધ્યપ્રદેશમાં બહુમત માટે વિધાનસભા સચિવાલયે મોડી રાત્રે કાર્યસૂચી જાહેર કરી હતી. કમલનાથ સરકારે આજે ગૃહમાં બહુમત સાબિત કરવાની હતી. આ માટે કૉંગ્રેસ અને બીજેપી એ બંને પોતાના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કરી દીધા હતા. ફ્લોર ટેસ્ટ પહેલા જ મધ્યા પ્રદેશના કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહએ કહ્યું હતું કે પાર્ટી પાસે બહુમત આંકડો નથી. આથી સીએમ કમલનાથ ફ્લોર ટેસ્ટ પહેલા જ રાજીનામું આપી શકે છે.