આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય...
કોરોના વાયરસની મહામારીની અસર આ વખતે ગણપતિ મહોત્સવ પર પણ પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક લાલબાગ દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ગણપતિ વિસર્જનનો ઉત્સવ કરે છે પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાલબાગ ગણપતિ મંડળે મૂર્તિ વિસર્જન નહીં કરવાનો નિર્ણય લીધો છે.
તેની જગ્યાએ મંડળ દ્વારા 11 સુધી દિવસ બ્લડ અને પ્લાઝમા ડોનેશન કેમ્પ ચાલુ કરવામાં આવશે.દેશમાં કોરોના વાયરસની મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત શહેરમાં મુંબઈ મોખરે છે. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તમામ મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં ન આવે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે ગણપતિની મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે ન હોવી જોઈએ.લાલબાગ મંડળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે લાલબાગચા રાજાની મૂર્તિની લંબાઈ નાની કરી શકાય તેમ નથી. તેમ છતા પણ જો નાની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવશે તો પણ મોટી સંખ્યામાં લોકો જમા થશે જ.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ વર્ષે નાની કે મોટી કોઈ પણ મૂર્તિની ન તો સ્થાપના કરવામાં આવશે અને ન તો વિસર્જન.