શા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું અજોડ સંગઠન છે? જાણો સંઘના કાર્યકર્તાના લક્ષણો...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) આજે વિશ્વ માટે નવું નામ નથી. આજે દેશની કોઈપણ બાબતમાં સંઘના વિચારની નોંધ લેવાય છે. સંઘની સ્થાપનાથી જ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારે સંઘના સ્વયંસેવકો કેવા હોય એની હંમેશા ચિંતા કરી છે. ચાલો જોઈએ સંઘનો કાર્યકર્તા કેવો હોય!!!
કાર્યકર્તા સંઘની ચિંતા કરવા વાળો હોવો જોઈએ. સંઘની ચિંતા એટલે શાખાની ચિંતા. વ્યક્તિગત અને સામૂહિક ચિંતન પણ હોવું જોઈએ. બધાને થવું જોઈએ કે શાખા આપણી છે તે વિકસવી જોઈએ. આપણે ફક્ત કહેવા પૂરતા કાર્ય કરતા નથી, કાર્ય કરનારા અને તેને વધારનારા છીએ અને બધા એવા બને એવો પ્રયાસ રહેવો જોઈએ. આ માટે બધા સાથે ફરે, મળે, બેસે ખાઈ-પીએ કે જેથી બધા સમરસ બની જાય.
આવું કામ કરવા જવાબદારી ઉઠાવવી પડે. માત્ર શબ્દોનો ઉપયોગ કરીને નહીં પણ પોતે તે કાર્ય કરીને બતાવે. સાથે મળવાને કારણે આ શક્ય બને છે. આ બધું બૌદ્ધિક ચર્ચાથી થતું નથી કારણ કે ચર્ચા તો શુષ્ક હોય છે. આપણા સંઘ કાર્યમાં રુક્ષતા કે શુષ્કતા નથી સ્નેહ કામ કરે છે.
આપણા કાર્ય નો આધાર ''સ્નેહ'' છે. આ ''સ્નેહ'' પરસ્પરના પ્રેમ અને આત્મીયતાભર્યા સંબંધો થી જ નિર્માણ પામે છે. કાર્યકર્તા આંતરબાહ્ય સ્નેહથી પૂર્ણ હોય તો તે ઓછી શક્તિ વાપરીને વધુ કાર્ય કરી શકે છે. આ સ્નેહ કાર્યકર્તા પોતાના આચરણથી પેદા કરે છે .માત્ર સંઘસ્થાન પર જ નહીં, પરંતુ બધા જ વ્યવહારો આત્મીય બની રહે અને બધા સાથે પોતાનાપણાનો ભાવ રહેવો જોઈએ.
સંઘની શાખા પદ્ધતિની પાંચ વિશેષતાઓ
- પહેલી વિશેષતા - દૈનિક શાખા
- બીજી વિશેષતા - એક કલાક નો કાર્યક્રમ
- ત્રીજી વિશેષતા - સર્વત્ર કરી શકાય એવા કાર્યક્રમો
- ચોથી વિશેષતા - બધાને માટે કાર્યક્રમો
- પાંચમી વિશેષ - સરળ કાર્યક્રમો