સંજય લીલા ભણશાલી પણ કોરોનાગ્રસ્ત થયા
મુંબઇમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હજી તો રણબીર કપૂરને કોરોના થયાના સમાચાર આવ્યા તેટલામાં તો સંજય લીલા ભણશાલીને કોરોના થયાનો અહેવાલ છે. તેમની આવનારી ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
રિપોર્ટસની માનીએ તો, દિગ્દર્શક સંજય લીલા ભણશાલી પણ કોવિડ-૧૯ના સપાટામાં આવ્યા છે. તેઓ પોતાની ઓફિસમાં જ ક્વોરોનટાઇનમાં રહે છે. તેમની આવનારી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. સંજય લીલા ભણશાલીની માતાની પણ કોરોનાની ટેસ્ટ લેવામાં આવી છે.
સંજય લીલા ભણશાલી ફિલ્મના સેટ પર કોવિડ પોઝિટિવ જોવા મળ્યા હતા.જોકે તેમણે પોતાને ઓફિસમાં જ ક્વોરન્ટાઇન કરી લીધા છે. રિપોર્ટસની માનીએ તો, આલિયા ભટ્ટે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને તે પણ હોમ ક્વોરન્ટાઇન થઇ ગઇ છે. જોકે આ લખાય છે ત્યાં સુધીમાં આલિયાના કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો નહોતો.
હાલમાં જ સંજય લીલા ભણશાલીએ પોતાના જન્મદિવસની ઊજવણી કરી હતી. આ પાર્ટીમાં ઘણી સેલિબ્રિટિઓ સામેલ થઇ હતી. તેમજ તેમનું ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ પણ સતત ચાલી રહ્યું છે. એવામાં બર્થ ડે પાર્ટીમાં સામેલ લોકો અને તેમની ફિલ્મની ટીમના લોકોની પણ કોવિડ-૧૯ની ટેસ્ટ કરાવી પડશે.