બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વિચક્ષણ, દૂરંદેશ અને આઝાદીના અગ્રણી લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત મેગા શૉ સરદાર – ધ ગેમ ચેન્જર

કે સી બોકાડિયા નિર્મિત મેગા શૉ સરદાર – ધ ગેમ ચેન્જર દિલ્હી દૂરદર્શન પર પ્રસારિત ભારતના વિચક્ષણ, દૂરંદેશ અને આઝાદીના અગ્રણી લડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન  પર આધારિત ગીતા માણેકના પુસ્તક સરદાર – ધ ગેમ ચેન્જર પરથી કે. સી. બોકાડિયા અને BMB એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રાજેશ બોકાડિયા દ્વારા નિર્મિત મેગા શૉ સરદાર – ધ ગેમ ચેન્જર ડી ડી નેશનલ પર પ્રસારિત થયો છે.



ભારતની આઝાદીમાં અને રજવાડાંઓનાં ભારતમાં એકત્રીકરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર  લોહપુરુષ સરદાર પટેલનાં જીવનની સફર દર્શાવતી આ સિરિયલ “સરદારઃ ધ ગેમ ચેન્જર” દિલ્હી દૂરદર્શન પર 10મી માર્ચ, 2024થી શરૂ થઈ છે. 

દિગ્દર્શક દયાલ નિહલાની દિગ્દર્શિત સરદાર - ધ ગેમ ચેન્જર સિરિયલ ડીડી નેશનલ પર દર રવિવારે સવારે 11.30 અને રિપિટ રાત્રે 10.00 વાગે નિહાળી શકાય છે. 



ડીડી નેશનલ પર જ વર્ષ 1993થી 1997 દરમિયાન પ્રસારિત થતી સિરિયલ બ્યોમકેશ બક્ષીમાં મુખ્ય કિરદાર નિભાવનારા કલાકાર રજિત કપૂરે સરદાર – ધ ગેમ ચેન્જરમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પાત્ર ભજવ્યું છે. 
આ શૉમાં મણિબહેન પટેલ તરીકે રાજેશ્વરી સચદેવ, વી. પી. મેનન તરીકે રાકેશ ચતુર્વેદી ઓમ, ગાંધીજી તરીકે દીપક અંતાણી, નેહરુ તરીકે સંજય, મહમ્મદઅલી જિન્નાહ તરીકે રાજેશ ખેરા અને માઉન્ટબેટન તરીકે રિક મેકલીનનો સમાવેશ થાય છે. 

ગીતા માણેકના પુસ્તક 'સરદારઃ ધ ગેમ ચેન્જર' પર આધારિત, આ સિરિયલમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ભારતમાંથી બ્રિટિશરોની વિદાયની ઘોષણા, હિન્દુસ્તાન, પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાનમાં ભારતને વહેંચવાનો બ્રિટિશરોનો કારસો, માઉન્ટબેટનનું ભારતમાં વાયસરૉય બનવું, રિયાસતી ખાતાની સ્થાપના, સરદાર પટેલને રિયાસતી ખાતું સોંપાવું અને 562થી વધુ રજવાડાંઓને એકીકૃત કરવામાં સરદાર પટેલના મહત્ત્વપૂર્ણ યોગદાનના ઈતિહાસનું વર્ણન છે.
ગીતા માણેક સહિત આ સિરિયલનું સહલેખન પ્રખ્યાત પત્રકાર – લેખક આશુ પટેલ અને જાણીતા નાટ્યલેખક વિરલ રાચ્છે સંભાળ્યું છે. 



ગીતા માણેક જણાવે છે કે છેલ્લા સાત-આઠ વર્ષથી તેઓ સરદાર પટેલના જીવન – પ્રસંગો અંગે સંશોધન કાર્ય કરતાં આવ્યાં છે અને છેલ્લા પાંચેક વર્ષથી રાધિકા કારિયા સરદાર અંગેના સંશોધન કાર્ય માટે ગીતા માણેક સાથે જોડાયેલાં છે. આ શૉ માટે રાધિકા કારિયા અને ખુશાલી દવે સંશોધન સાથે જોડાયેલાં છે.  

આ સિરિયલની સિનેમેટોગ્રાફી આકાશદીપ પાંડે સંભાળે છે અને આર્ટ ડિરેક્ટર તરીકે પ્રદીપ છે. સંગીતકાર તરીકે હરપ્રીત છે.

મુંબઈ, નાઈગાંવના સત્ય ડ્રીમ સ્ટુડિયોમાં જ્યાં આ સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં આ સિરિયલનું ભવ્ય લૉન્ચિંગ પાંચમી માર્ચે થયું હતું. 

સંજીવકુમાર, માલા સિંહા અભિનીત ફિલ્મ રિવાજ (1972)થી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નિર્માતા તરીકે પદાર્પણ કરનારા અને નિર્માતા તરીકે તેરી મહેરબાનિયાં (1985), પ્યાર ઝૂકતા નહીં (1985), નસીબ અપના અપના (1986) તથા નિર્માતા – દિગ્દર્શક તરીકે આજ કા અર્જુન (1990), ફૂલ બને અંગારે (1991) જેવી સુપરહિટ ફિલ્મો આપનારા કે. સી. બોકાડિયાએ વર્ષ 2015 પછીથી સરદાર ધ ગેમ ચેન્જર દ્વારા મેગા રિ એન્ટ્રી કરી છે. 



ફાસ્ટેટ 50 ફિલ્મ્સના નિર્માતા તરીકે બૉલિવૂડમાં પ્રખ્યાત કે. સી. બોકડિયાએ સિરિયલના લોન્ચિંગ સમયે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું કે ભારતની એકતામાં સરદાર પટેલની ભૂમિકા અગત્યની રહી છે. ભારતના ઈતિહાસમાં સરદારના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. 

ટેલિવિઝન શૉ - વેબસિરીઝમાં ઘણું સામ્ય છે કહીને ટેલિવિઝન - વેબસિરિઝ પ્રોડક્શનમાં પદાર્પણથી અત્યંત આનંદ વ્યક્ત કરતા કે. સી. બોકાડિયાએ આ પ્રોજેક્ટમાં જોડાયેલાં તમામ કલાકારો – કસબીઓની પ્રશંસા કરી હતી. 
આ સિરિયલનું બીજ રોપાવાની ઘડીને યાદ કરતાં તેમણે કહ્યું કે ફિલ્મમૅકર અમર સોલંકી થકી તેઓ લેખિકા ગીતા માણેકના સંપર્કમાં આવ્યા અને નિર્ણય લીધો કે મેગા શૉ થકી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. 

અભિનેતા રજિત કપૂરે આવી અસાધારણ સિરિયલને પડદા પર લાવવાના પડકારો પર પ્રકાશ પાડ્યો અને આ પહેલ માટે નિર્માતા રાજેશ બોકાડિયાની પ્રશંસા કરી. તેમણે સરદાર પટેલની ભૂમિકાની તક પ્રાપ્ત થવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ભૂમિકા સાથે અપાર જવાબદારી આવે છે જે નિભાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરું છું, કરતો રહીશ.