કોરોનાને નાથવા આર્યુવેદિક દવાઓનો સફળ પ્રયોગ, સૌરાષ્ટ્રના તબીબ ઘણાં સમયથી સતત કરી રહ્યા હતા સંશોધન
કોરોનાને નાથવા આર્યુવેદિક દવાઓનો સફળ પ્રયોગ
વિવિધ ઉકાળા, દેશી ઈલાજ અને ઔષધિઓનું મહત્વ
વનસ્પતિજન્ય દવાથી કોરોનાના દર્દીઓમાં એન્ટિબોડી બનાવી
ગુજરાત યુનિવર્સીટીનું નામ સમગ્ર દેશમાં રોશન
જૂનાગઢના આયુર્વેદિક તબીબે ગુજરાત યુનિવર્સીટી સાથે રહી કર્યું સૌથી મોટું કાર્ય ગુજરાત યુનિવર્સીટી અમદાવાદને સીટીઆરઆઇમાં ટ્રાયલ રજીસ્ટ્રેશન મળ્યું.
અમદાવાદની બે હોસ્પિટલમાં કરવામાં આવેલ પ્રિ-ક્લિનિકલ ટ્રાયલને મળી 100 ટકા સફળતા.કોરોના પોઝિટિવ દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારીને એન્ટિબોડી બનાવવામાં માત્ર 21 દિવસમાં મળી સફળતા.અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સીટીના લાઈફ સાયન્સ વિભાગના હેડ ડૉ. રાકેશ રાવલ અને જૂનાગઢના તબીબ ડૉ. અક્ષય સેવકે ગુજરાત યુનિવર્સીટીને દેશ-વિદેશમાં નામના અપાવી છે. કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે છેલ્લા એક વર્ષથી આ મહામારીના કારણે લોકોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે વિશ્વના તબીબો અને વૈજ્ઞાનિકોએ આ મહામારીને રસીથી કેમ અટકાવી શકાય તેના સંશોધનો પણ ખૂબ કર્યા.
ભારતના વૈજ્ઞાનિકોએ પણ રસીનું સંશોધન કર્યું છે આધુનિક તબીબી વિજ્ઞાન તરફ લોકોની નજર હતી ત્યારે ભારતમાં 5 હજારથી વધુ વર્ષ જુના આયુર્વેદના વારસાનું જતન કરતા આયુર્વેદના નિષ્ણાંતો પણ આ મહામારીને આયુર્વેદિક એટલે કે વનસ્પતિમાંથી બનાવેલી દવા થકી કોરોનને કેમ મ્હાત કરી શકાય તે દિશામાં સતત કાર્યરત હતા. પરંતુ જૂનાગઢમાં રહીને ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ સાથે જોડાઈને કાર્ય કરતા ડૉ. અક્ષય સેવકે કોરોના મહામારીના પ્રારંભિક કાળમાં એ નક્કી કરી લીધું હતું કે જો વનસ્પતિજન્ય ઔષધિ યોગ્ય ઉપયોગ કરીને કોરોનો પોઝિટિવ દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવામાં આવે તો તેને નાથી શકાય છે અને એ માટે સરકારી ધારાધોરણ મુજબ મંજૂરી લઈને કામ કરવા માટે ગુજરાત યુનિવર્સીટીએ આયુસ વિભાગ ગાંધીનગરથી 5 મહિનાની લાંબી મથામણ બાદ ટ્રાયલની મંજૂરી મેળવી હતી જેમાં સફળતા બાદ હવે આ દવાની ટ્રાયલને કેન્દ્ર સરકારના સીટીઆરઆઈમાં રજીસ્ટ્રેશન માટે આપી દેવામાં આવતા ગુજરાત યુનિવર્સીટીનું નામ સમગ્ર દેશમાં રોશન થયું છે. સમગ્ર દુનિયામાં મો વડે લેવાતી આ એક માત્ર કોરોનાના ઉપચારની દવા છે.
કોરોના મહામારી શરુ થયા પછી કેન્દ્ર સરકારના આયુસ મંત્રાલયે વિવિધ ગાઈડ લાઈન બહાર પાડી હતી અને વિવિધ ઉકાળા અને દેશી ઈલાજ અને ઔષધિઓનું મહત્વ પણ સમજાવ્યું હતું. દવાથી પણ કોરોનને મ્હાત કરી શકાય છે તેવું લોકોને હતું પરંતુ કોઈ ઠોસ વૈજ્ઞાનિક આધારો ઉપલબ્ધ નહોતા. ઇમ્યુનોલોજી ઉપર વર્ષોથી કામ કરતા જૂનાગઢના આયુર્વેદિક તબીબ ડો. અક્ષય સેવક એ વાત ઉપર મક્કમ હતા કે કોરોના વાઇરસ માનવ શરીરમાં ડેમેજ કરે ત્યારે જો તેની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવે તો આ મહામારીમાંથી દર્દી બચી શકે છે.
ગુજરાત આયુસ વિભાગે ગુજરાત યુનિવર્સીટીને ટ્રાયલની મંજૂરી આપી એ સમયે બે હોસ્પિટલ અને હોમ કોરંટાઈન દર્દીઓ પર તમામ પરીક્ષણ કરી ચુકેલી આ( ઈમ્યુરાઈઝ) દવા આપવામાં આવી હતી .જેનાથી માત્ર 21 દિવસમાં દર્દીના એન્ટિબોડી બની ગયા હતા. ઉપરાંત તમામ લક્ષણો પણ 7 થી 15 દિવસમાં દૂર થવાનું પણ નોંધાયું હતું.
પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ ગુજરાત યુનિવર્સીટીએ પૂર્ણ કર્યા પછી એથિકલ કમિટીના મંજૂરીના આધારે ફાઇનલ ટ્રાયલ માટે ભારત સરકારના આઈસીએમઆર વિભાગના રજીસ્ટ્રેશન સીટીઆરઆઇમાં અરજી કરવામાં આવી હતી. જેને રજીસ્ટ્રેશન મળી જતા કોરોના મહામારીને નાથવા માટે મોઢેથી લેવામાં આવતી દવાની આખરી ટ્રાયલ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સીટીમાં આવેલ લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. રાકેશ રાવલ જૂનાગઢના ડો. અક્ષય સેવક સાથે મળીને વિવિધ રોગ ઉપર કામ કરી રહયા છે .ઇમ્યુનોલોજી ઉપર કામ કરતી વિવિધ આયુર્વેદિક એટલે કે વનસ્પતિજન્ય દવા માનવ શરીરમાં આવતા રોગને નાથવામાં ખુબ મોટી ભૂમિકા ભજવે છે અને કોઈપણ વાઇરસ ઉપર એલોપેથી દવાની જેમ જ વનસ્પતિજન્ય દવા વધુ સારું પરિણામ આપી શકે છે તેનો આ પુરાવો છે .મહત્વની વાત એ છે કે કોરોના મહામારીને નાથવા માટે ભારત સહીત વિશ્વની અનેક યુનિવર્સીટીમાં કામ આજે પણ યથાવત છે પરંતુ વનસ્પતિજન્ય અને આયુર્વેદિક દવા દર્દીને પીવડાવી કોરોના પોઝિટિવ દર્દીઓમાં એન્ટિબોડી બનાવી શક્યા હોય તેવી વિશ્વની આ પહેલી ઘટના છે.આવનારા દિવસોમાં આખરી ટ્રાયલ પૂર્ણ થયા પછી સમગ્ર વિશ્વની નજર આ વનસ્પતિજન્ય દવા ઉપર હશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.