નાગ પંચમીના દિવસે શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? જાણો...
નાગ પંચમી
ગુજરાતમાં શ્રાવણ વદ પાંચમે નાગ પંચમીની ઉજવણી થાય છે. આ દિવસે નાગની પુજાનુ વિશેષ મહત્વ છે. જેમને આ દિવસે નાગના દર્શન થાય છે તેમના પર નાગ દેવતાની કૃપા બની રહે છે.
વ્રતની વિધિ : શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે.વ્રત કરનારે સવારે વહેલા ઉઠી, નાહી ધોઇને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી, ઘી નો દિવો કરી પૂજા કરવી.ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘી માં ચોળેલી કુલેરનું નૈવેધ ધરાવવું અને એકટાણું કરવું. એમાં આગલા દિવસે પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી તથા અથાણું ખાઇ શકાય.આ વ્રત કરવાથી ઘરમાં અવાર નવાર થતાં ઝઘડાનો નાશ છે.અને સંપ વધે છે તથા નાગદેવતાની કૃપાથી ધન-ધાન્યનો ભંડાર અખૂટ રહે છે.
નાગ પંચમીના દિવસે શું કરશો?
· નાગ દેવતાનું દર્શન અવશ્ય કરવું
· નાગ દેવતાના નિવાસ્થાનની પૂજા કરવી
· નાગ દેવતાને દૂધ પીવડાવવું
· નાગ દેવતાને સુગંધ પ્રિય હોવાથી સુગંધિત ફૂલ અને ચંદનથી પૂજા કરવી
શા માટે કરાય છે નાગની પૂજા?
ભારત કૃષિ પ્રધાન દેશ છે.નાગ ખેતરનુ રક્ષણ કરે છે.તેથી તેને ક્ષેત્રપાળ પણ કહે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે ઉપજને નુકશાન કરે છે તેનો નાશ કરીને નાગ ખેતરને લીલુંછમ રાખે છે. ખેતર ખેડવા દરમ્યાન જો નાગને નુકશાન પહોચે તો ખેડૂત અનાયાસે થયેલી પોતાની ભૂલ બદલ માફી માંગે છે અને ખેતરના શેઢે નાગ પંચમીના દિવસે પુજા અર્ચના કરે છે